Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ જ્ઞાન અને શીલનો ભંડાર છે, તેનું જતન કરવું આવશ્યક છે.  

રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@ 2047ના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિનો રોલ મહત્વનો રહેવાનો છે. યુવા શક્તિમાં ભરોસો વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના યુવાઓ સંસ્કાર સિંચન દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં અગ્રેસર રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ  ઉમેર્યુ કે, યુવા વયે અનેક પ્રલોભનો, લાલચો આવતી હોય છે પરંતુ યુવાશક્તિએ વ્યસનો તથા અન્ય દુષણોથી દૂર રહીને આગળ વધવું જોઈએ.

મુખ્યમંત્રીશ્રીએ આ સ્પર્ધાના વિષયો ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ,  દેશનું ભવિષ્ય - વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ, માન - મર્યાદા અને સુશીલતા: ભારતીય સંસ્કૃતિનો પાયાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, આજના સમયમાં અત્યંત પ્રાસંગિક અને સમયની માંગને અનુરૂપ હોવાનું જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, યુવાઓમાં ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ભાષાકીય બેરિયર આવતું નથી.  મુખ્યમંત્રીશ્રીએ સારા કાર્ય અને સંસ્કાર સિંચનના કાર્ય માટે યુવાઓને સંગઠિત થઈને ચર્ચા કરવા આહવાન કર્યુ હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ યુવાનોને દેશનું ભવિષ્ય ગણાવતા જણાવ્યું હતું કે, તમારે તમારામાં રહેલી શ્રેષ્ઠ ઊર્જાનો ઉપયોગ દેશને વધુ સમૃદ્ધ બનાવવામાં કરવાનો છે. યુવા શક્તિ રાષ્ટ્રની પ્રેરણા છે ત્યારે યુવાનોએ ચરિત્ર નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે. તમારે સમાજને વિકૃતિથી બચાવીને  સંસ્કૃતિ તરફ દોરવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. 

મંત્રી શ્રી પાનસેરીયાએ કહ્યું કે, આપણે સૌએ સહિયારા પ્રયાસથી કુરીતિથી સમાજને બચાવવાનું છે. તમારે જેવા સમાજનું નિર્માણ કરવું હોય તેવા સંસ્કારો અને વિચારો અંગત જીવનમાં અપનાવવાના છે. તમે વ્યસન, ભ્રષ્ટાચાર કે કોઈપણ જાતના પ્રલોભનથી દૂર રહીને રાષ્ટ્રસેવામાં યોગદાન આપી શકશો. 

આ સ્પર્ધાએ રાજ્યભરની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કર્યું છે. આવી સ્પર્ધા સત્ય, સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના આચરણ માટે યુવા પેઢીને જાગૃત કરવાનો અદ્ભુત પ્રયાસ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી ઉદય માહુરકરે કાર્યક્રમના પ્રારંભે આ સંપૂર્ણ આયોજનના વિચાર બીજથી લઈને તેના દૂરંદેશી વિઝનની સંપૂર્ણ ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના યુગમાં ભારતની સંસ્કૃતિને તોડવાના પ્રયાસો કરતી શક્તિઓને પરાસ્ત કરવા તેમજ આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આ કાર્યક્રમ એક મહાયજ્ઞ સમાન છે. જેમાં રાજ્યભરના ૭૫૦ કૉલેજોના ૧૫,૦૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ યુવા વક્તાઓ જ ભવિષ્યના સાંસ્કૃતિક યોદ્ધાઓ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સ્પર્ધામાં ઝોન કક્ષાએ ૧૧ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ ૩૩ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીનીને રૂ. ૧ લાખનું ઈનામ, દ્વિતીય ક્રમ માટે રૂ. ૭૧ હજાર અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીનીને રૂ. ૫૧ હજારનું ઈનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી ગુરવ દિનેશ રમેશ, NFSUના કુલપતિ શ્રી જે. એમ. વ્યાસ,  ઉચ્ચ શિક્ષણ સંયુક્ત નિયામક શ્રી આરતી ઠક્કર અને ઉપરાંત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ